2001 માં કચ્છ પર ત્રાટકેલા ગોઝારા ભૂકંપમાં જીવ ગુમાવનારા દિવંગત આત્માઓની યાદમાં તે આપદાના બે દાયકા બાદ એક ભવ્ય અર્થક્વેક મ્યુઝિયમ તૈયાર થયું છે. રૂ. ૩૭૫ કરોડના ખર્ચે ૧૭૫ એકરમાં આકાર પામેલા સ્મારક અને સંગ્રહાલય સ્મૃતિવનનું ગત 28 ઓગસ્ટના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યા બાદ 23 સપ્ટેમ્બરથી મુલાકાતીઓ માટે ખુલ્લું મુકાયું હતું.
મ્યૂઝિયમમાં કુલ આઠ બ્લોક છે જેમને પુન: સંરચના, પુન:પરિચય, પુન:પ્રત્યાવર્તન, પુન:નિર્માણ, પુન:વિચાર, પુન:આવૃતિ અને પુન:સ્મરણ નામ આપવામાં આવ્યું છે. અહીં ઐતિહાસિક હડપ્પન વસાહતો, ભૂકંપને લગતી વૈજ્ઞાનિક માહિતી, ગુજરાતની કળા અને સંસ્કૃતિ, વાવાઝોડાનું વિજ્ઞાન, રિયલટાઇમ અપાતકાલિન સ્થિતિ અંગે ક્ન્ટ્રોલ રૂમ દ્વારા સમજૂતિ તેમજ ભૂકંપ બાદના ભુજની સાફલ્યગાથાઓ અને રાજ્યની વિકાસયાત્રા વર્કશોપ અને પ્રેઝન્ટેશનના માધ્યમથી દર્શાવવામાં આવી છે. 2001 ના ભૂકંપની અનુભૂતિ કરવા માટે એક વિશેષ થિયટેરનુંનિર્માણ કરવામાં આવ્યું છે જે વિશ્વમાં સૌથી મોટા સ્ટિમ્યુલેટર પૈકી એક છે. અહીં ધ્રુજારી અને ધ્વનિ તથા પ્રકાશના સંયોજનથી એક વિશેષ પરિસ્થિતિનો અનુભવ કરાવવામાં આવશે.
ભુજશહેરનાહાર્દસમાન ભુજિયો ડુંગર 2008 સુધી આર્મી હસ્તક હતો. રાજ્ય સરકારના અથાગ પ્રયત્ન બાદ મહેસૂલને સોંપાયો, જેથી અહીં પ્રોજેક્ટ બનાવવો શક્ય બન્યો, તેમ છતાં પણ આર્મી સાથેના કરાર મુજબ આજે પણ 25 એકર પર આર્મીનો હક્ક છે.
પ્રોજેક્ટની શરૂઆત પહેલા આ જગ્યા એક બંજર જમીન હતી અને ભારતીય સેનાના અધિકારક્ષેત્રમાં આવતી હતી. તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી અને તેમના વહીવટીતંત્રે ભારતીય સેના પાસેથી એક રૂપિયાના ટોકન ભાવે 50 વર્ષની લીઝ પર જમીન લીધી હતી. 14મી સપ્ટેમ્બર, 2009ના રોજ આ જમીન આખરે ગુજરાત સરકારને સોંપવામાં આવી હતી.